માનસિક તણાવ, આર્થિક સંઘર્ષ અને અલગ વિચારણસરણીના કારણે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે. પરંતુ જો એમ કહેવામાં આવે કે રાજ્યમાં એક ગામ એવું પણ છે જે આખું ગામ જ એક કુંટુંબની જેમ રહે છે, એક જ રસોડે જમે છે, સુખ-દુ:ખના પ્રસંગે એકબીજાને સાથ આપે છે તો આ સાંભળીને ચોક્કસ નવાઇ લાગે. વાત છે મહેસાણાના વિજાપુર તાલુકાના સાંકાપુરા ગામની. અહીંના વૃદ્ધો વસુધૈવ કુટુંબકમનું સૂત્ર ખરા અર્થમાં જીવી રહ્યા છે.
આખું ગામ જ એક કુંટુંબની જેમ રહે
અહીં સામૂહિક રસોડાની જવાબદારી બકાભાઈ પટેલ અને વિક્રમભાઇ પટેલ સંભાળે છે. બકાભાઈ કહે છે કે ‘ગામમાં 116 પરિવાર છે, જેમાંથી 45 પરિવાર જ ગામમાં રહે છે, ખેતીવાડી કરે છે. તેમાં 15 દંપતી એવા છે, જેમના સંતાનો શહેરોમાં છે. 15 દંપતીની એકલતા દૂર કરવા અને ગામમાં કુટુંબ ભાવના જળવાઈ રહે માટે ફેબ્રુઆરી, 2022માં અમે સામૂહિક ભોજન શરૂ કર્યું હતું.’ વિક્રમભાઈ કહે છે કે, ‘અહીં એકસાથે 100 લોકો જમે છે પણ ભોજનનો બગાડ થતો નથી. જમ્યા પછી દરેક સભ્ય બોર્ડ પર બીજા દિવસે જમશે કે નહીં તે લખે છે.’ આમ ગામના અગ્રણી સ્વ. શંકરભાઈ પટેલ પરિવાર તેમજ અન્યોની યથાશક્તિ મદદથી ગામમાં દોઢ વર્ષથી સવાર-સાંજ સામૂહિક ભોજન ચાલે છે.
મનોજ યોગી