રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશેષ
૦૦૦
૦૦૦
ધાનપુરના અંતરિયાળ ગામમાં ઘરે ઘરે પહોંચીને મતદાતાઓની વિગતો સુધારી, ૧૧૮ યુવાનોને મતદાતા તરીકે જોડયા
૦૦૦
ધાનપુર તાલુકાના બાટણપુરા ગામનાં પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ચિરાગ પંચાલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરાતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રશંસ્તિપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું. તેમણે ધાનપુરના અંતરિયાળ ગામના ઘરે ઘરે પહોંચીને મતદાતાઓની વિગતો સુધારી હતી અને ૧૧૮ જેટલા યુવાનોને ફોર્મ ભરીને મતદાતા તરીકે પણ જોડયા હતા.
શ્રી ચિરાગ પંચાલ ધાનપુરની બાટણપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમણે તા. ૧ નવેમ્બરથી તા. ૫ ડિસેમ્બર સુધી યોજાયેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવાનગર કલસ્ટરના બાટણપુરા ગામના દરેક ઘરે પહોંચીને વધુમાં વધુ યુવાનો મતદાતા તરીકે જોડાય એ માટે ધગશ સાથે કામગીરી કરી હતી અને ૧૧૮ જેટલા ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત મતદારોની વિગતોની સુધારણા માટે ફોર્મ નંબર આંઠના ૬૨ ફોર્મ તેમજ ફોર્મ નંબર ૬, ૭ અને ૮ ના ૧૮૨ ફોર્મ ભરીને ખૂબ ખંતપૂર્વક કામગીરી કરી હતી.
આ કામગીરી યોગ્ય રીતે થાય એ માટે તેઓ ધાનપુરનાં અંતરિયાળ બાટણપુરા ગામના ઘરે ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂરી ફોર્મ ભર્યા હતા. ડુંગરિયાળ વિસ્તારમાં એક ઘર આ ડુંગરા પર હોય તો બીજું દૂર કયાંક. ત્યારે આ કામગીરી તેમના માટે ખૂબ મૂશ્કેલ હોવા છતાં તેમણે નિષ્ઠા સાથે પોતાની ફરજ નિભાવી હતી. જે લોકો વતન છોડીને બહારગામ રોજગારી માટે જતા હોય તે માટે તેમણે ગ્રામજનોને જાગૃત કર્યા હતા અને આ સુધારણા કાર્યક્રમમાં જોડાવા માટે જણાવ્યું હતું. જે યુવાનોએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને નવા મતદાર તરીકે જોડવા માટે પણ તેમણે વિશેષ જહેમત કરી હતી.
ગત વર્ષે પણ શ્રી પંચાલે મતદાર યાદીની ઝુંબેશમાં અઢાર વર્ષની ઉપરના મતદારો માટે ફોર્મ નં. ૬ ભરીને ૧૬૬ યુવાનોને નવા મતદાર તરીકે નોંધયા હતા. તેમજ મતદારોની વિગતો સુધારવા માટે રૂબરૂ ઘરે ઘરે મુલાકાત લઇને ૨૦૧ ફોર્મ ભર્યા હતા.
૦૦૦