![](https://www.banasgaurav.com/wp-content/uploads/2023/12/IMG-20231202-WA0065-1024x682.jpg)
પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી સહિત માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સિનિયર સબ એડીટર તથા માહિતી અને પ્રદર્શન કેન્દ્ર અંબાજીના ઇન્ચાર્જ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતાં શ્રી રેસુંગ ચૌહાણને આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અમદાવાદ ખાતે પ્રમોશન મળતાં પાલનપુર ખાતે આવેલ હોટલ અલાઈવ પાર્ટી પ્લોટમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી. એન. માળી, માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ શ્રી હિમાંશુ ઉપાધ્યાય, શ્રી જયેશ દવે અને શ્રી અમિત ગઢવી સહિત જિલ્લાના પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના પત્રકારશ્રીઓએ તેમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. મીડિયાના મિત્રો, માહિતી પરિવાર અને તેમના મિત્રોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા નિર્મિત રેશુંગભાઈ ચૌહાણની તેર વર્ષની ફરજ અને કર્તવ્યને બિરદાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ પણ પ્રદર્શિત કરાઈ હતી.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરીએ શ્રી રેસુંગ ચૌહાણને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી તેમણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા તેર વર્ષ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં શ્રી ચૌહાણએ મીડિયાના માધ્યમ થકી ખુબ અસરકારક કામગીરી કરી હોવાનું જણાવી તેમના મિલનસાર સરળ સ્વભાવની પ્રશંસા કરી હતી.
ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી. એન. માળીએ રેસુંગ ચૌહાણને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2015 અને 2017 માં આવેલા ભયાનક પૂર સમયે તથા કોરોનાકાળમાં પણ શ્રી ચૌહાણે જિલ્લા વહીવટી તંત્ર અને મિડીયા સાથે સારું સંકલન કેળવી ખુબ ઉમદા કામગીરી કરી છે એમના સાથ અને સહકાર થકી લોકો સુધી પહોંચવામાં અમને પણ સરળતા રહી છે.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ સ્વાગત પ્રવચનમાં શ્રી રેસુંગ ચૌહાણની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી હતી. શ્રી ચૌહાણે સરકારી સેવા દરમ્યાન સાથી કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન કેળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ સક્સેના, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી દિવ્યેશ વ્યાસ, શ્રી હરીશભાઈ પરમાર, શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા સહિત મહેસાણા, સાબરકાંઠા અને પાલનપુર માહિતી કચેરીનો સ્ટાફ તેમજ શ્રી રેસુંગભાઈ ચૌહાણના પરિવારજનો અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા જગત સાથે સંકળાયેલા તંત્રીશ્રીઓ અને પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી કચેરીના ફેલો મુકેશભાઈ માળીએ કર્યું હતું.