![](https://www.banasgaurav.com/wp-content/uploads/2021/12/IMG-20211211-WA0078-1024x768.jpg)
૧૦ થી વધુ ગામના આગેવાનો અને ભારે વાહન ચાલકોએ પાટણ ના ધારાસભ્યને રૂબરૂ મળી કરી રજૂઆત..
નાયતાનો જજૅરિત બ્રિજ અકસ્માત સજૅ તે પૂર્વે ભારે વાહનો માટે બંધ કરાયો..
પુલની બાજુમાં ડાઇવર્ઝન ના અપાતા ભારે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે..
પાટણ તા.૧૧
પાટણ – શિહોરી હાઈવે પર આવેલો સરસ્વતી તાલુકાના નાયતા ગામનો પુલ જર્જરિત બનતા એસટી બસો અને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ એસ ટી બસો અને ભારે વાહનોની અવર જવર માટે અંતરીયાળ ગામડાઓમાં થઈ ડાયવર્ઝન અપાતા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ સહિત ભારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ મામલે ગ્રામજનો અને ટર્બો એસોસિએશન દ્વારા શનિવારના રોજ પાટણના ધારાસભ્યને રૂબરૂ મળીને રજૂઆત કરાતા તેઓએ તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પુલની બાજુમાં જ ડાયવર્ઝન આપવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શિહોરી હાઈવે પર નાયતા ગામનો પૂલ જર્જરિત હાલતમાં છે અને નીચેના ભાગમાં મોટી તિરાડો સાથે પોપડા પડી જતા આ પૂલના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી લોખંડની એંગલો નાખી એસટી બસો તેમજ ભારે વાહનોની અવરજવર માટે પૂલ બંધ કરવામાં આવ્યો છે. હાલ આ પ્રકારના ભારે વાહનોને કાંશા ત્રણ રસ્તાથી સરીયદ વાયા ઉંદરા થઈને કંબોઈ ચાર રસ્તા પરથી જવાની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે શિહોરી તરફથી આવતા ભારે વાહનોને નાયતા થઈને વાયા મોરપા, વાગડોદ થઈ ડીસા પાટણ પરથી પસાર થવું પડે છે. જેથી હાઇવે પરના ૧૦ થી વધુ ગામોની પ્રજા અને વિદ્યાર્થીઓ એસટી બસ સેવાથી વંચિત રહેતાં હોવાનું લોકો એ જણાવ્યું હતું..
બોક્સ…
ડાયવઝૅન મામલે જો ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી ને રજુઆત કરીશ : ધારાસભ્ય
પાટણ તા.૧૧
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અચાનક પૂલ બંધ કરાતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને ભારે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતા પાટણ ખાતે સ્થાનિક આગેવાનો દ્વારા ધારારાસભ્ય કીરીટ પટેલને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી કે, પુલની બાજુમાં અમને ડાઇવર્ઝન આપવામાં આવે ત્યારે ધારાસભ્યએ જણાવ્યું કે, આ બાબતે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીશ અને જો પૂલ પાસે ડાયવર્ઝન આપવામાં નહીં આવે તો મુખ્યપ્રધાન સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ધારાસભ્યએ ચીમકી આપી છે.