છૂટા કરાયેલા કર્મચારીઓને ૨૪ કલાકમાં પરત લેવામાં નહીં આવે તો સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરની તમામ કામગીરી બંધ કરી દેવાની ચીમકી..
પાટણ તા.૨૫
પાટણ નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં નગરપાલિકામાં ફરજ બજાવતા હંગાવી સફાઈ કર્મચારીઓ પૈકી ૪૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવતાં પાલિકાના સફાઈ કર્મચારી મંડળમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને સોમવારના રોજ પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંડળ દ્વારા પાલિકા પ્રમુખને તેમજ ચિફ ઓફિસરને નગરપાલિકા માંથી હંગામી ધોરણે કામ કરતાં ૪૦ જેટલા સફાઈ કર્મચારીઓને છૂટા કરવાની બાબતને લઈ રજૂઆત કરવામાં આવી હતી અને છૂટા કરાયેલા કર્મચારીઓને ૨૪ કલાકના સમય તાત્કાલિક ધોરણે ફરજ ઉપર પાછા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
બોક્સ..
આ બાબતે પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંડળની રજૂઆતને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર દ્વારા છૂટા કરાયેલા હંગામી તમામ ૪૦ સફાઈ કર્મચારીઓને પોતાના નામ જોગ નગરપાલિકામાં અરજી આપવા જણાવી આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
બોક્સ..
પાટણ નગરપાલિકાના સફાઇ કર્મચારીઓને છૂટા કરવાની બાબતે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ ની નવી ભરતી કરવા ટૂંક સમયમાં જાહેરાત પ્રસારિત કરી કરાર આધારિત સફાઇ કર્મચારીઓની નિમણૂક કરાશે તેવી પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંડળને હૈયાધારણા પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.