માર્ગ મરામતની ૮૬ ફરિયાદ પૈકી મેટલ પેચવર્કની કામગીરી કરી ૫૩ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો..,
ડામર પેચવર્કની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી..
પાટણ તા.૪
રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૦ ઓક્ટોબર સુધી રાજ્યભરમાં માર્ગ મરામત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાટણના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોના મેટલ અને ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ખાડા પડી ગયા હોય તેવા રસ્તાઓની મરામત માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો પાસેથી વોટ્સએપના માધ્યમથી ફરિયાદો મંગાવવામાં આવી હતી. પાટણના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ને ગત તા.૨૨/૦૯/૨૦૨૧થી તા. ૦૧/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લામાં મરામતની જરૂરિયાતવાળા માર્ગો અંગે ૮૬ ફરિયાદો મળી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી મેટલ પેચની કામગીરી કરી ૫૩ ફરિયાદોનો નિકાલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
માર્ગ અને મકાન વિભાગને મળેલી કુલ ફરિયાદો પૈકી બાકી રહેલા માર્ગ મરામતના કામો સંદર્ભે ડામર પેચની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે.
સોમવાર ના રોજ વિભાગ દ્વારા વિરમગામથી સમી, કંબોઈથી દેલમાલ, દેથળીથી હિસોર તથા ખાનપુરથી માનપુર રોડની ડામર પેચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગામી સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત અંગેની તમામ ફરિયાદોનો નિકાલ થતાં વાહનચાલકોને સહુલીયત મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.