પત્રકાર સંગઠન કચ્છ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમનો બહિષ્કાર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના સુશાસનના નવ વર્ષની ઉજવણી સંબંધે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં સ્થાનિક પત્રકારોની ઉપેક્ષા કરવામાં આવેલ છે. એટલું જ નહીં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા તમામ કાર્યકરો, સમાજો અને સંસ્થાઓને આમંત્રિત કરવા જાહેર કરેલ એક વિડીયોમાં પણ પત્રકારોનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી મતલબ સ્પષ્ટપણે પક્ષ દ્વારા પત્રકારોની ઉપેક્ષા થતી હોય તેવું જણાઈ રહ્યું છે.
સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદેહી નિભાવનાર પત્રકારો ચોક્કસથી દરેક ક્ષેત્ર અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રે સ્વમાનના હક્કદાર છે. ત્યારે પત્રકારોની કરવામાં આવેલ ઉપેક્ષાને પગલે કચ્છ પત્રકાર સંગઠનના તમામ પત્રકારોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે જેની ગંભીરતાથી નોંધ લેવા પત્રકાર સંગઠનના પ્રમુખ દ્વારા જણાવાયું છે.