સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દ્વિતીય રાષ્ટ્રપતિ, ભારતીય સંસ્કૃતિના સંવાહક અને પ્રખ્યાત શિક્ષણવિદ એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મતિથિ ને સમગ્ર ભારત દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ઘણા લાંબા સમય થી શાળાઓમાં ઑનલાઇન શિક્ષણ ચાલતું હતું ત્યારે થોડા દિવસો અગાઉ રાજ્ય સરકાર દ્વારા ધોરણ: ૬થી૮ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ૫ મી સપ્ટેમ્બર રવિવારના રોજ આવતા શાળાઓમાં રજા હોવાથી ઉજવણી થઈ શકી ન હતી. શિક્ષક દિન ની ઉજવણીઅંતર્ગત આજરોજ તા.૦૯/૦૯/૨૦૨૧ ગુરુવારના દિવસે જંબુસર પ્રા.શાળા ખાતે ૨૮ જેટલા બાળકોએ તેમજ ફળિયા શિક્ષણ ના ધોરણ:૧થી૫ના વર્ગોમાં જે તે સેન્ટર ઉપર ૧૦જેટલા બાળકો મળી કુલ ૩૮ જેટલા બાળકોએ આજે ખૂબ ઉત્સાહથી શિક્ષકની ભૂમિકા ભજવી હતી. અનોખા ઉત્સાહ અને અનેરા આનંદથી આખા દિવસ દરમિયાન અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સહ અભ્યાસીક પ્રવૃત્તિઓ પણ બાળકો દ્વારા કરવામાં આવી. આજના દિવસે શાળાના આચાર્ય તરીકે આશિષકુમાર બારીઆ(ધોરણ:૮) તેમજ ઉપાચાર્ય તરીકે મીત બારીઆ(ધોરણ:૬) એ બખૂબીથી ઉત્સાહભેર જવાબદારી નિભાવી હતી. અંતે આજના દિવસે શિક્ષકની ભૂમિકા ભજવનાર તમામ બાલ શિક્ષકોને આચાર્યશ્રી રમેશભાઈ રાઠવા તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી અભિનંદનસહ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું લાઈઝનિંગ આ.શિ.ગણપતભાઈ કોળી તેમજ બાબુભાઈ કોલાચા દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ.દાહોદ