શહેરના વિવિધ ઉપાશ્રયોમાં જૈન મુનિ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળા ઓ યોજાય..જૈન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ની વિશેષ પૂજા અચૅના કરી ધન્યતા અનુભવી..પાટણ તા.3જૈન સમાજ માટે કાશી ગણાતા પાટણ શહેરમાં ભક્તિમય માહોલમાં પર્યુષણ મહાપર્વનો શુક્રવારના શુભ દિને પ્રારંભ થયો છે.ત્યારે શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુની ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળા યોજાઇ હતી , જેનો જૈન સમુદાયના લોકોએ લાભ લીધો હતો. પર્યુષણ પર્વ નાં પ્રારંભે શહેરના અતિ પ્રાચીન પંચાસર દેરાસર ખાતે જૈન શ્રાવકોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. પર્યુષણ પર્વને લઇને પાટણ શહેરના દેરાસરો અને ઉપાશ્રયોમાં જૈન શ્રાવકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.જૈન સમાજમાં અનેક તહેવારો અને ઉત્સવો આવે છે. પણ તેમાં વિશેષ મહત્વ પર્યુષણ પર્વનુ રહેલું છે . પર્યુષણ પર્વમાં સતત આઠ દિવસ સુધી જૈન શ્રાવકો વિવિધ ઉપાશ્રયોમાં જઈને ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરે છે અને મુનિ ભગવંતોના વ્યાખ્યાન સાંભળે છે. ત્યારે શુક્રવારથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે. જેને લઇને પાટણ શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ પ્રતિક્રમણ કર્યું હતું. પાટણના ત્રીસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ચારિત્ર વિજયજી મહારાજ અને મુનિરાજ રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણ પર્વનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો.મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ મુનિ ભગવંતો નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તો શહેરના પંચાસર દેરાસર ખાતે જૈનોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત શહેરના નગીનભાઈ પૌષધશાળામા અને સાગરના ઉપાશ્રયમા પણ મુની ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાનમાળાઓ યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ વ્યાખ્યાનમાળા નો લાભ લીધો હતો.પાટણના વિવિધ ઉપાશ્રયો અને દેરાસરોમાં પર્યુષણ પર્વને લઇને સતત આઠ દિવસ સુધી અનેક પ્રકારના ધાર્મિક સામાજિક અને જીવદયાના કાર્યક્રમો યોજાનાર હોવાનું જૈન અગ્રણી હકાભાઈ શાહે જણાવ્યું હતું.