તા.૨૩ મી જાન્યુઆરીથી જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થનારો પ્રારંભ
રાજપીપલા,શુક્રવાર :- નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ૦ થી ૫ વર્ષના બાળકો માટે તા.૨૩ મી જાન્યુઆરી, ૨૦૨૨ થી તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૨ સુધી યોજાનારા “ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો અભિયાનના” અયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં ૦ થી ૫ વર્ષના એકપણ બાળક પલ્સ પોલીયો રસીકરણ થી વંચિત ન રહી જાય અને તેની સાથોસાથ કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એસ.જે.મોદી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ.ગામીત, WHO ના સિનીયર મેડીકલ ઓફીસરશ્રી ડૉ. આનંદ સંતોક, સિવીલ સર્જનશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તા, જિલ્લા એપીડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ કશ્યપ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકાશ્રી જયેશભાઇ પટેલ, ચીફ ઓફીસરશ્રી રાહુલભાઇ ઢોડીયા સહિત તમામ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, CDPO સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ સમીક્ષા દરમિયાન બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્યસરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા તા.૨૩ થી જાન્યુઆરી, ૨૦૨૨ ને રવિવારના રોજ ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે પલ્સ પોલીયોની રસીકરણ અભિયાનનો પ્રારંભ થનાર છે. જેમાં ૩૮૧ પોલીયો બુથ દ્વારા જિલ્લામાં અંદાજીત ૧.૨૩ લાખ ઘર, ૪૮,૭૪૨ જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે. ૨૩ ટ્રાન્ઝીક્ટ પોઈન્ટ, ૩ મેળા/બજાર, ૬૮ જેટલી મોબાઇલ ટીમ, ૯૮ જેટલી ટીમ સુપરવાઇઝરો અને ૧,૭૩૪ જેટલા આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં જોડાશે.
નર્મદા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેમજ ૧૦૦ ટકા કામગીરી થાય અને આ અંગે વાલીઓને પણ જાગૃત કરવા શ્રી પલસાણાએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરીને યોજાનારા પલ્સ પોલીયો અભિયાનની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
૦૦૦૦ધર્મેન્દ્ર ભીલ બીજીન્યૂઝ નર્મદા