જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધતા કોરોના કેસો સામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલનની અપીલ..
પાટણ તા.11
પાટણ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનામાં હજુ પાટણ જિલ્લામાં ઓછા કેસ છે. પરંતુ જો ત્રીજી લહેરની શરૂઆતમાં જ યોગ્ય કાળજી રાખવામાં નહિ આવે તો થોડાક જ દિવસોમાં કોરોનાના કેસોમાં વધરો થઈ શકશે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઈઝેશન પર ભાર મુકવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ બાબત આજે પણ એટલી જ પ્રસ્તુત છે અને તે વ્યક્તિને કોરોનાથી બચાવી શકે છે.
પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ સૌ નાગરિકોને અપીલ કરે છે કે બાળકો, મોટી ઉંમરના લોકોએ જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું. જે નાગરિકો નોકરી કે વ્યવસાય અર્થે બહાર જાય છે તેઓએ કામના સ્થળે, ભીડ-ભાડવાળી જગ્યા પર વ્યવસ્થિત રીતે માસ્ક પહેરવું, યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું તેમજ સાબુ કે સેનેટાઈઝરથી દિવસ દરમિયાન હાથ સાફ કરવા. બજારમાં ખરીદી વખતે, મુસાફરી કરતી વખતે કે જાહેર સ્થળોએ વધુ ભીડ ન થાય એનું ધ્યાન રાખવું. હાલના સંજોગોમાં કોઈ પણ પ્રસંગમાં એકઠા થવું સલાહભર્યું નથી.
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી કે માથાનો દુખાવો જેવા હળવા લક્ષણો હોય તો તેને દવાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ ટીમ જયારે સરવે માટે આવે ત્યારે તેમને પૂરતો સાથ-સહકાર આપવા માટે અપીલ છે. ઉપરાંત, હળવા લક્ષણો હોય તો આ ટીમને જાણ કરીને તરત જ સારવાર લેવી. જેથી શરૂઆતના તબક્કામાં જ દર્દીની યોગ્ય સારવાર થઈ જાય અને સ્થિતિ વધુ ગંભીર ન બને. કોઈ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હોય તો ત્યા પ્રતિબંધોનું સંપૂર્ણ પાલન કરવું.
જે પણ નાગરીકોએ કોરોના રસીનો પ્રથમ, બીજો કે પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય એમને પણ આ ડોઝ લઈ લેવો. જેથી કોરોના સામેનું સુરક્ષા કવચ મળી રહે. આમ ત્રીજી લહેરની શરૂઆતથી જ જો સૌ નાગરિકો ‘સાવચેતી એ જ સલામતી’ના સુત્રને અપનાવી તકેદારી રાખશે તો કોરોનાની મોટી અસરથી પોતાને અને પરિવારને બચાવી શકશે.
આ તમામ બાબતોને હળવાશથી ન લઈ તેનું ગંભીરતાપૂર્વક પાલન કરવા સૌ નાગરિકોને તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ