સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર કોરોના કટોકટી દરમિયાન પણ કિસાન મિત્રોને નિયમિતપણે માર્ગદર્શન મળી રહે તેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ દ્વારા ગોધરા તાલુકાના અછાલા ગામે ખેડુતોને કૃષિલક્ષી માહિતી આપવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સ તેમજ માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરીને કિસાન ગોષ્ઠીનું આયોજન તા. 05/01/2021ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિકશ્રી ડૉ. એમ.બી.પટેલે મકાઇની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તેમજ ફોલ આર્મી વોર્મ(FAW)ના સંક્રમણથી બચવા માટે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
તેમજ તેના મુલ્યવર્ધન માટેની જાતો અને ઓછા ખર્ચમાં વધારે નફાકારક ખેતી માટેનું માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના બાગાયત વિભાગના વિષય નિષ્ણાત ડૉ.રાજકુમાર દ્વારા જીલ્લાની પરિસ્થિતિને અનુરૂપ બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટેની માહિતી આપેલ હતી તેમજ આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર યોગેશ પટેલ દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ યોજનાકીય માહિતીઓ, પ્રવૃતિઓ તેમજ ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજ્કેટ, પંચમહાલ ગોધરાના બીટીએમ/એટીએમ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર: જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)