લોનવલાના એકવીરા દેવીનાં દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર પાલઘર જિલ્લાના મનોર પાસે કન્ટેનર સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વર્ષના બાળક સહિત ચાર જણે જીવ ગુમાવ્યા હતા. જ્યારે છ જણ ઘાયલ થયા હતા.મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈ – અમદાવાદ હાઈવે પર મનોરના ચિલ્હાર ફાટા પાસે આવઢની ગામે બની હતી.મૃતકોની ઓળખ હેમંત તરે (ઉ.૬૦),રાકેશ તમોર (ઉ.૪૨) અને સુષ્મા આરેકર (ઉ.૩૨) તરીકે થઈ હતી. સારવાર દરમિયાન બે વર્ષના બાળકનું પણ મોત નીપજ્યું હતું. કારમાં સવાર શ્રદ્ધાળુઓ બોઇસરના દાંડી સ્થિત આવેલ સાંઈનગરના રહેવાસી હતા. શ્રદ્ધાળુઓ લોનવલામાં એકવીરા દેવીનાં દર્શન કરવા માટે ઈકો કારમાં નીકળ્યા હતા.દર્શન કરી પરત આવતી વખતે કાર કન્ટેનર સામસામે અથડાયા હતાં.અકસ્માતમાં ઘાયલોમાં બે બાળકોનો સમાવેશ થાય છે.ગંભીર રીતે જખમી લોકોને વધુ સારવાર માટે મિરારોડની ભક્તિ વેદાંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. રિપોર્ટર – જુગલ જોશી (મુંબઈ)